મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા. 


વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.


                                                    
પ્રસંગ 1 લો :- એક વખતે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી પોતે પૃથ્વીપ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા, ત્યારે આ દામોદરદાસજી  સાથે હતા. તેમને પોતે વ્હાલપણામાં 'દમલા' કહીને બોલાવતા અને વળી કહેતા તે " दमला तेरे लिए यह मार्ग प्रगट कियो है." શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટની ઉપર એક ચોતરો છે તેના ઉપર શ્રીમહાપ્રભુજી વિશ્રામ કરતા હતા. ત્યાં આગળ પોતાની બેઠકની પાસે શ્રી દ્વારિકાનાથજીનું મંદિર છે. ત્યાં એક દિવસે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીને ચિંતા થઈ કે, શ્રીઠાકોરજીએ તો આજ્ઞા આપી કે જીવને બ્રહ્મસંબંધ કરાવો પણ જીવ તો દોષથી ભરેલો છે! અને શ્રીપુરુષોત્તમ તો ગુણનિધાન છે! તેથી જીવનો અને શ્રીપુરુષોત્તમતો સંબંધ કેવી રીતે થાય? એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અત્યંત ચિંતાયુક્ત થયા. તે વખતે સહેજ નિદ્રા આવી, ત્યારે શ્રીઠાકોરજી તત્કાલ ત્યાં પ્રગટ થયા અને શ્રીમહાપ્રભુજીને જગાવીને પૂછ્યું કે તમે ચિંતાતુર શા માટે થાઓ છો ? શ્રીમહાપ્રભુજીએ વિનંતી કરી કે જીવનું સ્વરૂપ તો દોષથી ભરેલું છે તે તો આપ જાણો છો. તેથી આપની સાથે જીવનો સંબંધ કેવી રીતે થાય ? આપે તો જીવને બ્રહ્મસંબંધ કરાવવાની આજ્ઞા આપીછે ? શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરીકે, 'જે જીવને આપ નામ સંભળાવી બ્રહ્મસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ તેથી તમે જીવને બ્રહ્મસંબંધ તો અવશ્ય કરવો.'આ વાર્તાલાપ શ્રાવણ સુદી 11 ની મધ્યરાત્રિમાં થયો, તેને બીજે દિવસે સવારમાં પવિત્રાબારસ હતી. તેથી સુતરનું પવિત્રુ પોતે સિદ્ધ કરી  રાખ્યું હતું તે પવિત્રુ તે વખતે શ્રીપુરુષોત્તમને ધરાવ્યું અને મિશ્રી ભોગ ધર્યો. તે વખતે શ્રીઠાકોરજીએ શ્રીમુખથી કહેલો બ્રહ્મસંબંધના મંત્રનો ભાવાર્થ તથા જે વાર્તા થઈ તેનો શ્રીમહાપ્રભુજીએ સિદ્ધાંતરહસ્ય નામનો ગ્રંથ કર્યો છે કે જે ષોડશ ગ્રંથમાં પ્રસિદ્ધ છે તેમાંનો એક શ્લોક:

श्रवणस्यामले पक्ष एकादश्याम महानिशि। साक्षात् भगवता प्रोत्के तद्क्षरश उच्यते।।१
    
તે વખતે દામોદરદાસ પોતાનાથી થોડેક દૂર સુતા હતા તેમને જગાવીને શ્રીમહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા! તે કંઈ સાંભળ્યું? ત્યારે દામોદરદાસે જવાબ આપ્યો કે, મહારાજ શ્રીઠાકોરજીના વચન સાંભળ્યા તો ખરા, પણ સમજ્યો નહીં, ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શ્રીઠાકોરજીએ આજ્ઞા આપી છે કે તમે જે જીવને બ્રહ્મસંબંધ કરાવશો તેનો હું અંગીકાર કરીશ, અને તેની સેવામાં પ્રતિબંધ કરનારા સઘળા દોષો દૂર થશે. તેથી બ્રહ્મસંબંધ અવશ્ય કરવું વળી તે વખતે શ્રીમહાપ્રભુજીએ એ માગ્યું કે, મારા પહેલા દામોદરદાસનો દેહ ન છૂટે. તેનું કારણ એ છે કે પોતે શ્રી ભાગવતનું અહર્નિશ મનન કરતા. અને કથા કહેતા હતા પુષ્ટિમાર્ગનું રહસ્ય દામોદરદાસથી  કંઈ પણ ગુપ્ત રાખવામાં આવ્યું ન હતું તેમ જ સ્વમાર્ગનો સઘળો સિદ્ધાંત (ભવદલીલારહસ્ય) દામોદરદાસના હૃદયમાં સ્થાપવામાં આવ્યો હતો. 

પ્રસંગ 2 જો :- એક વખતે દામોદર દાસ અને શ્રીગુંસાઈજી એકાંતમાં બેઠા હતા, ત્યારે શ્રીગુંસાઈજીએ દામોદરદાસજીને પૂછ્યું કે, તમે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીને કેવા સ્વરૂપથી જાણો છો? દામોદરદાસે કહ્યું કે હું તો શ્રીઆચાર્યજી મહાપ્રભુજીને સંસારમાં સઘળાથી મોટા જેને જગદીશ કહે છે અગર તો જેને શ્રીઠાકોરજી કહે છે કે તેમનાથી એમને અધિક જાણું છું. શ્રી ગુંસાઈજીએ પૂછ્યું તમે આવા શા માટે કહો છો? શ્રીઠાકોરજી તો મોટા છે. દામોદરદાસે શ્રીગુસાંઇજીને કહ્યું કે," મહારાજ ! દાન મોટું કે દાતા મોટો?" કોઈની પાસે પુષ્કળ દ્રવ્ય હોય તો તે શા કામનું ? જે આપે તેનું ધન જાણીએ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીનું સર્વ સ્વધન શ્રીનાથજી છે તેનું તેમણે અમને જીવોને પોતે દાન કર્યું તેથી શ્રીઆચાર્યજી મહાપ્રભુજીને હું સઘળાથી મોટા છે એમ જાણું છું. 

પ્રસંગ 3 જો :- એક વખત શ્રીગુંસાઈજી પોતે બેઠકમાં બેઠા હતા તે વખતે દામોદરદાસ ત્યાં આવ્યા. ત્યારે શ્રીગુંસાઈજીએ તેમનું બહુજ આદર સન્માન કર્યું. દામોદરદાસ દંડવત પ્રણામ કરીને બેઠા, તે વખતે બે-ચાર વૈષ્ણવ શ્રીગુંસાઈજીની પાસે હસવા-ખેલવા માટે બેઠા હતા. આપ તે વૈષ્ણવોની સાથે પુષ્કળ આનંદથી હાંસી ઠઠ્ઠા અને ખેલની વાર્તા કરતા હતા. ત્યારે શ્રી ગુંસાઈજીને દામોદરદાસે કહ્યું," મહારાજ ! આપણો માર્ગ નિશ્ચિતતાનો નથી. આ માર્ગ તો અતિકલેશાતુરતાનો છે." ત્યારે શ્રીગુસાંઇજીએ કહ્યું કે તમને ધન્ય છે. તમે સાચી વાત કરો છો, પણ મને તો જયારે શ્રીમહાપ્રભુજી કૃપા થશે ત્યારે કલેશાતુરતા થશે. આ માર્ગ માં પ્રવૃત્તિ તો શ્રી મહાપ્રભુજીની કૃપા વિનાન હોઈ શકે. દામોદરદાસે દંડવત કરી વિનંતી કરી કહ્યું, મારે તો અપને વિનંતી કરવી હતી તે કરી પછી તો આપ પ્રભુ છો, સારું જાણતા હશો તે જ કરશો, પણ આ માર્ગ તો તાપક્લેશનો છે. ત્યારે શ્રીગુંસાઈજીએ પ્રસન્ન થઈ કહ્યું કે મને આ વાર્તા શ્રીમહાપ્રભુજીએ તમારા દ્વારા કહી, તમે ના કહો તો બીજું કોણ કહેશે ? તમને દેખું છું ત્યારે મારુ મન ઘણું પ્રસન્ન રહે છે, તમે તો શ્રીઆચાર્યજી ના સેવકનો ધર્મ જાણીને શિક્ષાની વાર્તા કહો છો તે દિવસથી શ્રીગુંસાઈજી દામોદરદાસની શિક્ષા માનતા હતા. તેથી મોટા તે મોટા. 

પ્રસંગ 4 થો :-  શ્રીઆચાર્યજી એ ઠાકોરજી પાસે વચન માગ્યું હતું કે મારા પહેલા દામોદરદાસનો દેહ ન છૂટે. તેનો હેતુ એવો હતો કે, શ્રીમહાપ્રભુજીએ પોતે મનમાં સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર કર્યો હતો. તે વખતે શ્રીગોપીનાથજી અને શ્રીગુંસાઈજી બન્ને ભાઈ બાળક હતા. તેથી માર્ગની વાર્તા શ્રીઆચાર્યજીએ દામોદરદાસને સમજાવીને તેમના હૃદય માં સ્થાપી હતી. અને દામોદરદાસ સઘળાં બાળકો ને શીખવાડશે એવું વિચારીને કેટલાક દિવસ પછી શ્રીઆચાર્યજીએ સંન્યાસ ગ્રહણ કર્યો. થોડા દિવસ પછી શ્રીગુસાંઇજીએ શ્રીઅક્કાજીને પૂછ્યું કે માતાજી ! શ્રીમહાપ્રભુજી એ આ માર્ગ તો પ્રગટ કર્યો પણ તેમાં ઉત્ત્સવનો શો પ્રકાર છે, તે તો અમે જાણતા નથી ત્યારે શ્રીઅક્કાજી એ કહ્યું, માર્ગ તથા ઉત્સવનો પ્રકાર શ્રીમહાપ્રભુજીએ દામોદરદાસને કહ્યો છે માટે તેમને તમે પૂછજો તે તમને કહેશે, તેથી શ્રીગુંસાઈજી દામોદરદાસને ઘેર પધાર્યા ત્યારે દામોદરદાસે બહુ સન્માન કરી ભક્તિભાવથી ઘરમાં પધરાવ્યા. પછી શ્રીગુસાંઇજીએ ઉત્ત્સવનો પ્રકાર પૂછ્યો યે સઘળું સમજાવીને દામોદરદાસે કહ્યું.       

પ્રસંગ 5 મો :- એક વખત દામોદરદાસના પિતાનું શ્રાદ્ધ હતું તેથી દિવસે શ્રીગુસાંઇજીએ તેમને ઘેર પધાર્યા ને શ્રાદ્ધ કરાવી આપ્યું. પછી ઉત્ત્થાપનના સમયે જયારે દામોદરદાસ દર્શન કરવા આવ્યા ત્યારે શ્રીગુસાંઇજીએ શ્રાદ્ધ કરાવ્યાની દક્ષિણા માંગી ત્યારે દામોદરદાસે દક્ષિણામાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથના દોઢ શ્લોકની વાર્તા કહી. શ્રીગુસાંઇજીએ તેથી વધારે કહેવાનું કહ્યું ત્યારે દામોદરદાસે કહ્યું , કે મેં તો એટલો જ સંકલ્પ કર્યો હતો, ફરીથી શ્રીગુંસાઈજી બોલ્યા નહીં. પછી દામોદરદાસે સ્વમાર્ગ ની પ્રણાલિકા આપની આગળ કહી, અને શ્રીભાગવતની ટીકા અને રહસ્ય વાર્તા જેટલી શ્રીમહાપ્રભુજીએ દામોદરદાસને કહી હતી તેટલી બધી શ્રીગુસાંઇજીની આગળ કહી સાંભળાવી. ત્યાર પછી શ્રીગુંસાઈજી દામોદરદાસજીને દંડવત કરવા ન દેતા, કારણ કે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ સદાસર્વદા દામોદરદાસના હૃદયમાં બિરાજમાન છે, માટે દંડવત ન કરવા દેતા. તેમ પોતાનું ચરણોદક પણ આપતા નહીં. પણ મહાપ્રભુજીએ દામોદરદાસજીને દર્શન આપીને આજ્ઞા કરી કે, શ્રીગુસાંઇજીનું ચરણોદક નિત્ય લેજે. તેથી દામોદરદાસે પ્રાતઃકાલમાં શ્રીગુસાંઇજીની પાસે આવી ચરણોદક માગ્યું. ત્યારે શ્રીગુસાંઇજીએ ના પાડી પણ જયારે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીની પ્રત્યક્ષ આજ્ઞા ચરણોદક લેવાની થઈ છે એવું કહ્યું ત્યારે શ્રીગુસાંઇજીએ ચરણોદક આપ્યું. દામોદરદાસને કૃપા કરી શ્રીમહાપ્રભુજી ત્રીજે દિવસે દર્શન દેતા, અને રહસ્ય વાર્તા કહેતા હતા ; કદાચિત ત્રીજે દિવસે આપનાં દર્શન ન થતાં દામોદરદાસ અત્યંત કષ્ટાતુર થતા, ને જયારે દર્શન થતાં ત્યારે સુખ પામતા હતા. એ પ્રમાણે ઘણા દિવસ સુધી દર્શન થતાં અને જે વાર્તા શ્રીમહાપ્રભુજીની સાથે બનતી તે સઘળી શ્રીગુંસાઈજીના આગળ નિવેદન કરતા, અહર્નિશ માર્ગના પ્રકારની વાર્તા કહેતા તેથી દામોદરદાસના ઉપર શ્રીગુસાંઇજીની બહુ જ કૃપા હતી. અને કહેતા કે તમારા હૃદયમાં સદા સર્વદા શ્રીમહાપ્રભુજી બિરાજમાન છે તેથી પોતે દંડવત કરવા ન દેતા અને વળી કહેતા કે દામોદરદાસ ! તમારા ગુણનો પાર નથી. 

પ્રસંગ 6 ઠો :- પહેલાં દામોદરદાસ  અડધી ગાદી ઉપર બેસતા. એક દિવસે શ્રીમહાપ્રભુજીએ દામોદરદાસને પૂછ્યું કે તમે શ્રીગુંસાઈજીને શું કરીને જાણો છો ? દામોદરદાસે કહ્યું કે, હું તો આપનો પુત્ર છે એમ જાણું છું. ત્યારે શ્રીમુખે કહ્યું કે તું મને જેવા સ્વરૂપથી જાણે છે તેવા જ સ્વરૂપથી શ્રીગુસાંઇજીને જાણજે. મારા અને એમના સ્વરૂપમાં કોઈ પણ જાતનો ભેદ નથી.

પ્રસંગ 7 મોં :- શ્રીમહાપ્રભુજીએ કહ્યું હતું કે, આ માર્ગ તારા માટે પ્રકટ કર્યો  છે.તેનો હેતુ એવો છે કે,  સુધી માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસનું પ્રાક્ટ્ય ગુપ્ત રીતે છે. પ્રથમ દામોદરદાસે કહ્યું હતું કે મેં શ્રીઠાકોરજીને વચન સાંભળ્યા પણ સમજ્યો નહીં તે વખતે શ્રીમહાપ્રભુજીએ કહ્યું હતું કે હજુ તમને દશ જન્મનો અંતરાય છે. તેનો હેતુ એવો હતો કે જ્યાં સુધી અમારા માર્ગ ની સ્થિતિ છે ત્યાં સુધી તમારું પ્રાક્ટ્ય ફરી ફરીને થશે. કારણ આ માર્ગ ના સ્તંભ તમે છો, તેથી શ્રીમહાપ્રભુજીએ સંપૂર્ણ સુષ્ટીનો ઉદ્ધાર કરવાને માટે દામોદરદાસના હૃદયમાં ભગવદ્દલીલા સ્થાપી. તેથી જ્યાં સુધી આપના માર્ગની સ્થિતિ રહે ત્યાં સુધી દામોદરદાસની સ્થિતિ ગુપ્ત રીતે માર્ગનું રહસ્ય જણાવવા માટે રાખી છે. તેથી તે દામોદરદાસજી શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તાનો પાર નથી.  વૈષ્ણવ 1 લા.



1. વૈષ્ણવ દામોદરદાસ હરસાની 

  
--------------------------------------------------------------------------------------------------------------------------
       

--------------------------------------------------------------------------------------------------------------------------

  

   
      









ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1