મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.


252 વૈષ્ણવો ની વાર્તા 

વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.



પ્રસંગ 1 :-  એ કુંભનદાસજી શ્રીનાથજીની સાથે ખેલતા હતા. એક દીવસે કુંભનદાસને શ્રી ગોવર્ધનનાથજી એ ચાર ભુજા ધરીને દર્શન દીધાં. તેજ દિવસે તેમને ઘેર છોકરાનો જન્મ થયો તેથી એ છોકરાનું નામ ચતુર્ભુજદાસ  રાખ્યું. આ વાત કુંભનદાસજીની વાર્તામાં લખી છે. એ ચતુર્ભુજદાસ 11 દિવસના થયા ત્યારે કુંભનદાસજી શ્રી ગુસાંઇજીની પાસે લઈ ગયા અને નામ સ્મરણ અપાવ્યું. જયારે ચતુર્ભુજદાસ 41 દિવસના થયા ત્યારે કુંભનદાસજી તેમને શ્રી ગુંસાઈજી પાસે લઈ ગયા અને નિવેદન અપાવ્યું. આ દિવસથી ચતુર્ભુજદાસમાં શ્રીનાથજીએ એટલું બધું સામર્થ્ય મૂક્યું કે જો ઈચ્છા થાય તો મુગ્ધ બાળક બની જાય. ઈચ્છા માં આવે તો બોલે, ચાલે અને સર્વ અલૌકિક વાતો કરવા લાગે. જયારે કુંભનદાસજી એકાંતમાં બેસતાં ત્યારે ચતુર્ભુજદાસ કુંભનદાસ સાથે ભગવદ વાર્તા કરતા, અને પૂછતાં અને પદ ગાતા. જો કોઈ લૌકિક પુરૂષ આવે તો  ચતુર્ભુજદાસ મુગ્ધ બાળક બની જતા. આવું સામર્થ્ય શ્રીનાથજી એ ચતુર્ભુજદાસ માં મૂક્યું હતું. જયારે શ્રીનાથજી ઈચ્છા કરતા ત્યારે ચતુર્ભુજદાસને સાથે ખેલવાને લઈ જતા. અને જેવી લીલાના દર્શન કરતાં તેવા પદ ગાતાં હતા. એ ચતુર્ભુજદાસ એવા ભગવદીય કૃપાપાત્ર હતા. 

પ્રસંગ 2 :- એક દિવસ શ્રીનાથજી એક વ્રજવાસીને ઘેર માખણ ચોરવાને પધાર્યા ત્યારે ચતુર્ભુજદાસને સાથે લેતા ગયા. ત્યાં એક વ્રજવાસીની બેટીએ ચતુર્ભુજદાસને દીઠા પણ શ્રીનાથજી નાશી ગયા. ચતુર્ભુજદાસ પકડાઈ ગયા અને માર ખાધો, પછી ચતુર્ભુજદાસ શ્રીનાથજી પાસે ગયા અને કહ્યું "મહારાજ મને તો બહુ સારો માર ખવડાવ્યો." શ્રીનાથજી એ કહ્યું " તારામાં સામર્થ્ય ઓછું નહોતું. તું શા માટે નાસી ના આવ્યો?" આ ચતુર્ભુજદાસ શ્રીનાથજીની અંતરંગ લીલાંમધ્ય પાતી હતા. તેમની વાર્તા શી કહીએ. 

પ્રસંગ 3 :-  જે  દિવસે ચતુર્ભુજદાસજી ને પ્રથમ લીલાનો અનુભવ થયો તે  દિવસથી વ્યાપી વૈકુઠસંબંધી લીલા સર્વત્ર દેખાવા લાગી. આ સામર્થ્ય શ્રી ગોવર્ધનનાથજી એ કૃપા કરીને એમનામાં મૂક્યું હતું કુંભનદાસજી ને પોઢવાનાં દર્શન થતાં હતા ત્યારે કુંભનદાસજી કીર્તન ગાવા લાગ્યા. તે પદ " વે દેખો બરત ઝરોખન દિપક હરિ પોઢે ઊંચી ચિત્ર સારી" જયારે આટલી ટૂંક કુંભનદાસજીએ ગાઈ ત્યારે ચતુર્ભુજદાસજી ગાઈ ઉઠ્યા "સુંદર વદન નિહારન કારન બહુત યતન રાખે કર પ્યારી" આ સાંભળીને કુંભનદાસજી એ નિશ્ચય કર્યો કે આને શ્રી ગુસાંઇજીની કૃપાથી સંપૂર્ણ અનુભવ થયો છે. આવી મોટી કૃપા એમની ઉપર થઈ છે ? એમ માની ઘણા પ્રસન્ન થયા. તે દિવસથી ચતુર્ભુજદાસ કંઈ જતા અથવા ન જતા અથવા અવાર સવાર આવતા તોપણ કુંભનદાસજી કશું કહેતાં નહીં. એવું  જાણતા કે શ્રીનાથજીની સંગમાં કંઈ ખેલતા હશે. આ ચતુર્ભુજદાસ એવા ભગવત્કૃપાપાત્ર ભવદીય હતા. 

પ્રસંગ 4 :- એક દિવસ શ્રી ગોવર્ધનનાથજીના શ્રુંગાર ના દર્શન ચતુર્ભુજદાસજી એ કર્યા તે વખતે શ્રી ગુંસાઈજી આરસી દેખાડતા હતા. તે વખતે ચતુર્ભુજદાસજી એ આ પદ ગયું.


સુભગશૃંગાર નિરખ મોહનકો લે દર્પણ કર પિયહિ દિખાવે,
આપન નેક નિહારીયે બલીજાઉ આજકી છબી કછુ ખત ન આવે. 1    

ત્યાર પછીથી ગોવિંદ કુંડ ઉપર શ્રી ગુંસાઈજી પધાર્યા. ત્યાં એક વૈષ્ણવે પૂછ્યું "મહારાજ આજે ચતુર્ભુજદાસે તો એવું ગાયું કે "આજકી છબી કછુ કહત ન આવેં," અને આપતો નિત્ય શૃંગાર ધરો છો અને આરસી દેખાડો છો. તો આજના પદનું રહસ્ય બિલકુલ મારાથી સમજાયું નથી. ત્યારે શ્રી ગુંસાઈજીએ કહ્યું કે, ચતુર્ભુજદાસજીએ બીજું પણ પદ ગયું છે. તે પદ. 

" માઈરી આજ ઔર કાલ ઔર છિન છિન ઔર ઔર "    
  
આ પદ સાંભળીને તે વૈષ્ણવે શ્રી ગુંસાઈજીને પૂછ્યું " ભગવત લીલા તો નિત્ય છે. અને સર્વત્ર છે તો ચતુર્ભુજદાસજીએ "ઔર ઔર" શા માટે કહ્યું? ત્યારે શ્રી ગુંસાઈજી એ આજ્ઞા કરી " ભગવલ્લીલામાં વિલક્ષણપણું આ છે કે, તે નિત્ય છે તેમ ક્ષણક્ષણ માં નૂતન દેખાય છે. લીલાસ્થ જીવને અગર લીલાના  દર્શન કરનાર જીવને ક્ષણક્ષણ નૂતન લાગે છે  અને નૂતન રૂચિ ઉત્પન્ન થાય છે. ગોપાલદાસજીએ પણ ચોથા વલ્લભાખ્યાનની પાંચમી ટૂંકમાં ગાયું છે. 

એક રસના કેમ કહું ગુણ પ્રકટ વિવિધ વિહાર, 
નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર.  

એવી ભગવલ્લીલા છે. આ સાંભળીને આ વૈષ્ણવ ઘણાજ પ્રસન્ન થયા.આ ચતુર્ભુજદાસ એવા કૃપા પાત્ર હતા, એમને નિત્યલીલાનો સઘળો અનુભવ થતો હતો. 

પ્રસંગ 5 :- એક દિવસ શ્રીગુંસાઈજી ગોકુળમાં બિરાજતા હતા. અને શ્રી ગિરિધરજી આદિ સર્વ બાળકો શ્રીજીદ્વારમાં ત્યાં રસધારીઓ આવ્યા. ત્યારે શ્રી ગોકુલનાથજીએ શ્રી ગિરધરજીને પૂછીને પરસોલીમાં રાસ કરાવડાવ્યો. રાસમાં ગાન ખુબ થતું હતું. ત્યારે શ્રી ગોકુલનાથજી એ ચતુર્ભુજદાસને આજ્ઞા કરી કે  "તમે કંઈક ગાઓ" ત્યારે ચતુર્ભુજદાસે કહ્યું "મારૂ ગાન સાંભળનાર શ્રીનાથજી પધાર્યા નથી, તેથી હું કેવીરીતે ગાઉ" ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું "તે હમણાં પધારશે. આ શ્રી ગોકુલનાથજીની વાત સત્ય કરવાને માટે શ્રીનાથજી જાગીને શ્રી ગિરિધરજીને જગાડીને પરાસોલી પધાર્યા. શ્રી ગિરધરજી પધાર્યા તેના ચતુર્ભુજદાસને અને શ્રી ગોકુલનાથજીને દર્શન થયા. બીજા કોઈને દર્શન થયાં નહીં. ત્યારે શ્રીનાથજીના દર્શન કરીને ચતુર્ભુજદાસ ગાવા લાગ્યા. તેમને  તેથી અધિક સુખ મળ્યું અને બધી રાત એમજ ચાલી ગઈ આ વખતે  ચતુર્ભુજદાસે પદ ગાયું.

અદભુત નટ ભેખ ધરે યમુના તટ શ્યામ સુંદર 
ગુણ નિધાન ગિરિવરધરન રાસ રંગ રાચે.
પદ 2. પ્યારી ગ્રીવા ભુજ મેલી નુત્યત પ્રીય સુજાન.

આવાં આવાં ચતુર્ભુજદાસજીએ ઘણાં પદ ગયાં પછી રસ થયો અને તેમાં ઘણો આનંદ આવ્યો. પછીથી શ્રી ગિરિધરજીએ શ્રીનાથજીને રાત્રે જાગેલા જાણી સવારે જગાડ્યાં નહીં. એટલામાં શ્રીગુંસાઈજી શ્રી ગોકુળથી પધાર્યા અને પૂછ્યું " શો સમય છે? "ત્યારે ગિરિધરજીએ કહ્યું " શ્રીનાથજી જાગ્યા નથી. રાત્રે રાસમાં જાગ્યા હતા તેથી" શ્રી ગુંસાઈજી એ કહ્યું " શ્રીનાથજી તો હંમેશા રાસ કરે છે. અને હમેશા જાગે છે. તો શંખનાદ કરવો. પછીથી શંખનાદ કરાવીને શ્રીનાથજીને જગાડ્યા. ફરીથી શ્રી ગોકુલનાથજીને શ્રી ગુંસાઈજીએ આજ્ઞા કરી કે, આવો આગ્રહ કરીને શ્રી નાથજીને પધરાવવા નહીં. એ તો હંમેશા આપની ઈચ્છાથી રાસ કરે છે. માટે વિનંતી કરીને પધરાવવા નહીં. એ ચતુર્ભુજદાસ એવા કૃપાપાત્ર હતા. તે શ્રીનાથજી સિવાય બીજા કોઈની આગળ ગાન કરતાં નહીં.
 
પ્રસંગ 6 :- એક દિવસે શ્રી ગુંસાઈજીએ ચતુર્ભુજદાસને આજ્ઞા કરી કે "અપ્સરા કુંડ ઉપર જઈને રામદાસ ભીતરીઓને બોલાવી લાવો. અને તમે ફૂલ લેતા આવો" ચતુર્ભુજદાસ જઈને રામદાસ ભીતરીયા ને બોલાવી આવ્યા, પોતે પણ ફૂલ વીણીને આવતા હતા. તે વખતે શ્રી ગોવર્ધન પર્વતની કંદરામાં થી બહાર શ્રીનાથજી શ્રી સ્વામિનીજી ની સાથે પધાર્યા. ત્યારે શ્રી સ્વામિનીજીના મનમાં એવો વિચાર આવ્યો કે લીલા કોઈ જાણતું નથી. એટલામાં ચતુર્ભુજદાસજી એ દર્શન કરીને આ પદ ગાયું. 


પદ 1 લૂ ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પીય પ્યારી.
પદ 2 જુ રજની રાજ કિયો નિકુંજ નગરકી રાની   

આ પદ સાંભળીને શ્રી સ્વામિનીજીની પ્રસન્ન થયાં. પછીથી ચતુર્ભુજદાસ ફૂલ લઈને શ્રી ગુસાંઇજીની પાસે ગયા. એ ચતુર્ભુજદાસ એવા કૃપાપાત્ર હતા કે તે શ્રીનાથજી તથા શ્રી સ્વામિનીજીના મનની વાત જાણતા હતા. 

પ્રસંગ 7 :- આ ચતુર્ભુજદાસની વહુ એક દિવસે શ્રીનાથજી ના ચરણારવિંદ માં પહોંચી ગયા ત્યારે ચતુર્ભુજદાસ ને સૂતક આવ્યું. આ સૂતકમાં ચતુર્ભુજદાસ વનમાં બેસીને નિત્ય કીર્તન કરતા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી એ આજ્ઞા કરી કે " ચતુર્ભુજદાસજી બીજી વાર વિવાહ કરો" ચતુર્ભુજદાસે કહ્યું " ન્યાતમાં કન્યા મળતી નથી. શ્રીનાથજીએ કહ્યું "પુનલગ્ન કરો" આથી ચતુર્ભુજદાસે પુનઃલગ્ન કર્યા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી હંમેશા ચતુર્ભુજદાસની હાંસી મશ્કરી કરતા. આ ચતુર્ભુજદાસ એવા અંતરંગ ભગવદીય હતા. 

પ્રસંગ  8 :- એક દિવસ શ્રીગુંસાઈજી પરદેશ પધાર્યા હતા ત્યારે શ્રી ગિરિધરજીની  એવી ઈચ્છા થઈ કે શ્રીનાથજીને મથુરાં માં આપણે ઘેર પધરાવીએ  તો ઠીક. તેથી શ્રીનાથજી ની આજ્ઞા લઈ ફાગણ વદ છઠને દિવસે શયન પછીથી શ્રીનાથજીને મથુરાં પધરાવ્યાં. અને ફાગણ વદ 7 ને રોજ મોટો ઉત્સવ કર્યો, અને ઘરમાં જે કાંઈ હતું તે સર્વ સમર્પણ કર્યું. પરંતુ શ્રી કમલા બેટીજીએ એક નથ -વાળી ઘરમાં રાખી હતી. તે બેટીજી બાળક હતાં તેથી કશું સમજતાં ન હતાં. તેથી તે નથ પણ શ્રીનાથજીએ માંગી લીધી કારણકે શ્રીગિરિધરજી એ સર્વસ્વ અર્પણ કરવાની પ્રતિજ્ઞા કરીહતી તેથી તે પ્રતિજ્ઞા સત્ય કરવાને માટે શ્રીનાથજીએ નથ માંગી લીધી. ચતુર્ભુજદાસ નિત્ય શ્રી ગિરિરાજ ઉપર બેસીને વિરહના અને હિલગ ના પદ ગાતાં હતાં શ્રીનાથજી હમેશાં સાંઝની વખતે ગાયોની સાથે પધારતા અને દર્શન આપતાં વૈશાખ સુદ 13 ની સાંઝે તેમણે આ પદ ગાયું.


શ્રી ગોવર્ધનવાસી સાંવરે લાલ તુમ વિન રહ્યો ન જાય હો. 
      
આ પદની છેલ્લી તુક શ્રીનાથજીએ પધારતાં સાંભળી તે વખતે તે કરૂણાથી વ્યાકુલ થયા, અને મનમાં એ વિચાર કર્યોકે " હંમેશાં અહીંયા પધારીશ" કારણકે ભક્તનું દુઃસહ દુઃખ જોઈને શ્રીનાથજી રહેવાયું નહીં. જયારે રાત્રી એક પ્રહોર રહી ત્યારે શ્રીનાથજીએ વૈશાખ સુદી 14ના દિવસે શ્રી ગિરિધરજીને આજ્ઞા કરી કે આજ ગોવર્ધન પર્વત ઉપર રાજભોગ આરોગીશ.પછી થી શ્રી ગિરિધરજીએ મંગળા કરીને શ્રીનાથજીને પધરાવ્યા, પ્રથમ માણસ મોકલીને મંદિર ખાસા કરાવડાવ્યું. શ્રીનાથજીને પધારતાં વાર થઈ તેથી રાજભોગ અને શયનભોગ એક સાથે જ આરોગ્યા. આ દિવસ થી આજ દિવસ થી આજ સુધી નુરસિંહ ચૌદશને દિવસે શ્રીનાથજી બે વખત રાજભોગ આરોગે છે. એક નિત્યના સમયે અને એક શયનભોગ સમયે આ ચતુર્ભુજદાસ શ્રીનાથજીના એવા કૃપા પાત્ર હતા  કે તેમના વગર શ્રીનાથજીથી રહેવાતું નહોતું.

પ્રસંગ 9 :- એક દિવસ ચતુર્ભુજદાસ શ્રીગુસાંઇજીની સાથે શ્રીગોકુળ ગયાઅને શ્રીનવનિતપ્રિયજીના દર્શન કરીને બાળલીલાનાં તથા પારણાંના કીર્તન કર્યા. દર્શન કરીને ફરીથી ગોપાલપુર આવ્યા ત્યારે કુંભનદાસે પૂછ્યું " તું ક્યાં ગયો હતો ? " તેમણે કહ્યું " શ્રી ગોકુળ ગયો હતો." ત્યારે કુંભનદાસજીએ કહ્યું " પ્રમાણમાં કેમ જઈને પડ્યો". ત્યારે ચતુર્ભુજદાસે શ્રી ગુંસાઈજીને પૂછ્યું કે "પ્રમાણ પ્રકરણ લીલા અને પ્રમેય પ્રકરણ લીલામાં શો ભેદ છે ? " શ્રીગુંસાઈજી એ કહ્યું "ભગવત્વલીલા સર્વ એક સમાન છે. કુંભનદાસજીને કિશોર લીલામાં બહુજ આસક્તિ છે. ભગવત્વલીલાનો ભેદ સમજવો નહીં. શ્રી ઠાકોરજી વિરૂદ્વધર્માશ્રયી છે એક કાલાવચ્છિન્ન શ્રી પ્રભુ સર્વત્ર સર્વ લીલાકરે છે. આ સાંભળી ચતુર્ભુજદાસજી ઘણાં પ્રસન્ન થયા. એ ચતુર્ભુજદાસ શ્રી ગુસાંઇજીના ઘણા કૃપાપાત્ર હતા એમનાથી શ્રી ગુંસાઈજી કશું ગુપ્ત રાખતા ન હોતા.

પ્રસંગ 10 :- ચતુર્ભુજદાસ પછીથી તેમના બેટા રાંધોદાસ હતા. જયારે તેમને ભગવલ્લીલાનો અનુભવ થયો ત્યારે રાઘોદાસજી એ એક ધમાર ગાઈ.


ધમાર 

એ ચલ જાય જહાં હરિ ક્રીડત ગોપિન  સંગા.

જયારે એ ધમારની દશ તુકો થઈ ત્યારે રાધોદાસની દેહ છૂટી અને ભગવદ્લીલામાં  પ્રવેશ થયો. પછીથી રાધોદાસની પુત્રીએ દોઢ તુક બનાવીને ધમાર પુરી કરી. આ ચતુર્ભુજદાસ, તેમના પુત્ર, અને પુત્રી, સર્વ એવાં કૃપાપાત્ર ભગવદીય હતાં. તેમની વાર્તા કેટલીક લખીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 3 જા.


(સાર) (1) અંતરંગ ભક્તનું પ્રાગટ્ય પણ પૃથ્વી ઉપર પ્રભુની સમાન લીલાને માટે હોય છે. અને તે સદા પ્રભુની સંગેજ રહે છે. પણ કાર્ય માટે પ્રભુવિયોગ તેમને દેખાડે છે. (2) જો કે સર્વ જીવોના ભગવાન પ્રભુ છેજ, તો પણ જે જીવનું સ્વીય તરીકે વરણ કરે છે, તેના વિવાહિત પતિની માફક ભર્તા થઈ, આનંદનું દાન કરે છે. આ સિદ્ધાંત અણુભાષ્યના ચોથા અધ્યયા ના ચોથા પદના 15 માં સૂત્રમાં સમજાવ્યું છે. (3) ભગવાનની લીલા નિત્ય છે તથા સવત્ર છે પણ પરમ ભગવદીઓને તો દર વખતે નૂતન જ લાગે છે. શ્રી ગોપાલદાસજીએ પણ ગાયું છે" નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર"  (4) ભગવાનની લીલામાં ભેદ જાણવો નહીં. પ્રમાણ પ્રકરણ લીલા અને પ્રમેય પ્રકરણ લીલાતે ઉભય પ્રભુની છે. જેને જે જે સ્વરૂપમાં આસક્તિ તે પ્રમાણે તે તે લીલાનો અનુભવ થાય છે. પ્રભુ વિરૂદ્ધ ધર્માશ્રયી છે. 
   
  આ ચતુર્ભુજદાસજીએ હજારો પદ કર્યા છે. એમના દેહોત્સર્ગ સંબંધી નીચે પ્રમાણે એક  પુસ્તકમાં જોવામાં આવે છે. " જયારે શ્રી ગુંસાઈજી ગિરિરાજની કંદરામાં પધાર્યા ત્યારે ચતુર્ભુજદાસ ને અત્યન્ત વિરહ થયો તેથી રૂદ્ર કુંડ ઉપર તે ગયા ત્યાં જઈને વિરહનાં કીર્તન કરવા લાગ્યાં અને તે ધૂનમાં તેમના દેહનો ઉત્સર્ગ થયો અને  શ્રી ગુંસાઈજીના ચરણ કમલમાં જે પહોંચ્યા.

1. ચતુર્ભુજદાસજીએ બીજી વખતે શ્રીનાથજીના આગ્રહથી વિવાહ કર્યો હતો. ખાસ શ્રીનાથજીએ સદુપાંડેને કહીને મુકદ્દમની બેટી સાથે વિવાહ કરાવડાવ્યો હતો. 

 કુંભનદાસજીને પાંચ પુત્ર હતા.  તે બધા લૌકિકમાં આસક્ત હતા તેથી તેમનો તેમણે ત્યાગ કર્યો હતો. એક કૃષ્ણદાસ નામનો પુત્ર પછીથી થયો હતો. તેમણે શ્રીનાથજીની ગાયને વાઘથી બચાવવા પોતે વાઘના મુખમાં પડ્યાં અને ગાયને બચાવી. ત્યાર પછીથી કુંભનદાસના મનમાં ભગવદીય પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. આ સાતમા પુત્ર ચતુર્ભુજદાસ હતા. અષ્ટસખામાં ચતુર્ભુજદાસજી પણ છે. 

2. બ્રહ્મા સર્વ ધર્મ યુક્ત છે, તેમ વુરૂદ્ધ ધર્માશ્રયી છે. તેને માટે શ્રુતિ વચનનાં પ્રમાણ "अपाणिपादो जवनो गुहोता " " शृणोति अकर्ण : पश्यति अचश्रु:" तदेजति तन्नेजति " समोमशकेन समोनागेन " " न तत्समश्र्चाभ्यधिकश्र्च दश्यते " ઇત્યાદિ.    

આ મહાનુભાવી વૈષ્ણવ સંબંઘી નીચે નું ધોળ અષ્ટસખાના ઘોળમાં આપેલું છે.


ચતુર્ભુજદાસ સદા સખા શ્રી શ્યામના, બાર દિવસમાં શરણ થયા તે આવી જો; ત્યારે કૃપા કરી શ્રી વિઠ્ઠલનાથજી, મંદિર માંહે નિજ લીલા દર્શાવી જો. 1

 ત્યારે કીર્તન કરી સુણાવ્યું તે શ્યામને, પ્રભુજી પ્રસન્ન થયા તે એવું જાણી જો; ગયો ચરાવવા વનમાં સાથે આવજો, એવું બોલ્યા શ્રી મુખથી તે વાણી જો. 2

માખણ ચોરી કરવા પ્રભુ પોતે ગયા, ત્યાંયે પણ સાથે તેડી લીધા જો; ખાઈ કરીને પોતે તો નાશી ગયા, એમણે ઉભા રહી માર બહુ ખાધો જો. 3

કોઈ સમયે વળી વચન કહ્યું શ્રી ગુંસાઈજી, રામદાસને તેડાવ્યા નિરધાર જો; સઘન કુંજને દ્વારે દર્શન આપીયું, યુગલ સ્વરૂપ નિશ્ચે ઉરમાં ધરવા જો. 4

હાંસી કરવા સારૂ ફરી લગ્ન કરાવીયુ, ભગવદી રાઘવદાસનું પ્રાગટ્ય કરવા જો; કુંભનદાસના સંગ થકી સુખ પામીઆ, લીલારસને શ્રી વલ્લભ ઉર ભરવા જો. 5



______________________________________________________







ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1