મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા.વાર્તા 4 થી. વૈષ્ણવ 4 થા.


252 વૈષ્ણવો  ની વાર્તા

વાર્તા 4 થી. વૈષ્ણવ 4 થા. શ્રી ગુસાંઈજીના સેવક નંદદાસજીની વાર્તા.



પ્રસંગ 1 :- આ નંદદાસજી તુલસીદાસના છોટા ભાઈ હતા. એમને નાચ તમાસા જોવાનો તથા ગાન શ્રવણ કરવાનો બહુ શોખ હતો. એક વખતે ત્યાંથી એક સંઘ દ્વારકા જતો હતો. નંદદાસજીએ વિચાર કર્યો " જો શ્રીરણછોડજીના દર્શન માટે હું જાઉં તો ઠીક " તેમણે જયારે તુલસીદાસને પૂછ્યું, ત્યારે તે રામના અનન્ય ભક્ત હતા. તેમણે તેટલા માટે દ્વારકા જવાને ના પાડી. નંદદાસજીએ તે માન્યું નહીં અને સંઘની સાથે ગયા. મથુરા સુધી ગયા. મથુરામાં આ સંઘને બહુ દિવસ થયા. તેથી નંદદાસજી સંઘને છોડીને ચાલતા થયા. તેથી તે દ્વારકાનો રસ્તો ભૂલી ગયા. અને કુરૂક્ષેત્રની આગળ સિંહનંદ ગામમાં પહોંચી ગયાં. ત્યાં એક શાહુકાર ક્ષત્રી રહેતા હતા. નંદદાસજી તેને ઘેર ભિક્ષા માંગવા ગયા. એની સ્ત્રીનું રૂપ બહુ સુંદર હતું. તેથી નંદદાસજી એને દેખી ને મોહિત થઈ ગયા, આખો દિવસ જઈને એના દરવાજા આગળ બેસી રહેતા અને એ ક્ષત્રાણીના મુખને દેખતા ત્યારે મુકામ ઉપર આવતા. આમ કરતાં કરતાં ઘણા દિવસ પસાર થઈ ગયા. આ ક્ષત્રાણીની તેની ન્યાતમાં બહુજ ચર્ચા થતી ગઈ. તેના સસરા તથા પતિએ વિચાર કર્યોકે " હવે આ ગામમાં રહેવું નહીં " આથી ઘરના બધા માણસો શ્રી ગોકુળ ગયા, કારણકે તે બધા વૈષ્ણવ હતા. નંદદાસજીને આ ખબર પડી એટલે એ પણ પાછળ ગયા. રસ્તામાં તેમનાથી દૂર દૂર ચાલે અને દૂર દૂર મુકામ રાખે. આમ કેટલાંક દિવસ પછીથી વ્રજમાં પહોંચ્યા. શ્રીયમુનાજી ઉતરવાના સમયે તે ક્ષત્રાણીએ વહાણ હાંકનાર ને કંઈક આપ્યું અને કહ્યું કે પેલા બ્રાહ્મણને ઉતારીશ નહીં એ અમને દુઃખ દે છે. બધાં ઉતરીને શ્રીગોકુળ ગયા, શ્રીગુંસાઈજીના દર્શન કર્યા, ત્યારે શ્રીગુંસાઈજીએ આજ્ઞા કરીકે " એ બ્રાહ્મણને શ્રીયમુનાજી ની પાર શા માટે બેસાડીને આવ્યા છો," ત્યારે આ ક્ષત્રાણીના મનમાં એવું આવ્યું કે કોઈએ એમને આ વાત કહી હશે! અથવા જાણી ગયા હશે! તે ક્ષત્રી મનમાં બહુ પસ્તાવા લાગ્યો. શ્રીગુંસાઈજીએ એક માણસ મોકલીને તે બ્રાહ્મણને પાસે બોલાવી લીધો. નંદદાસજીએ આવીને શ્રીગુસાંઇજીના દર્શન કર્યા. તો સાક્ષાત કોટિકંદર્પ લાવણ્ય પૂર્ણ પુરૂષોત્તમ ના દર્શન થયા. ત્યારે નંદદાસજીએ સાષ્ટાંગ દંડવત કર્યા. હાથ જોડીને ઉભા રહ્યા. જે સ્વરૂપના દર્શન આ ક્ષત્રાણીના નેત્રમાં નંદદાસજીને થયાં હતાં તે સ્વરૂપનાં દર્શન શ્રીગુંસાઈજીના થયાં. ત્યારે શ્રી નંદદાસજીનું મન ત્યાંથી છૂટીને શ્રીગુંસાઈજીના ચરણારવીંદમાં ચોંટ્યુ. ત્યારે નંદદાસજી હાથ જોડીને ઉભા રહ્યા. પછી શ્રીગુંસાઈજીએ આજ્ઞા કરી " નંદદાસજી સ્નાન કરી આવો." આથી તે સ્નાન કરી આવ્યા. અને શ્રીગુંસાઈજીએ શ્રીનવનીત પ્રિયાજીની સન્નિધિમાં નામ નિવેદન કરાવડાવ્યું. પછી નંદદાસજીએ શ્રીનવનિતપ્રિયજીના દર્શન સર્વ આશય પૂર્વક કર્યો. શ્રીગુંસાઈજીએ ભોજન કરીને સર્વ વૈષ્ણવોને પ્રસાદી પાતળ આપી ત્યારે નંદદાસજીને દેહાનું સંધાન પણ રહ્યું નહીં. પાતળ પર બેઠાજ રહ્યા. ભગવત્લીલામાં મન મગ્ન થઈ ગયું. અનેક લીલાનો અનુભવ થવા લાગ્યો. ભર્યા ઘરમાં ચોરની માફક મોહિત થયા. આમ કરતાં સવાર થયું. કંઈ પણ શુદ્ધિ રહી નહીં, ત્યારે શ્રીગુંસાઈજીએ પધારીને નંદદાસજી ના કાનમાં કહ્યું કે " નંદદાસજી ઉઠો દર્શન કરો ત્યારે નંદદાસજી ઉઠીને ઉભા થયા અને તેમણે શ્રીગુંસાઈજીના દર્શન કરતી વખતે આ પદ ગાયું.


પ્રાતઃ સમય શ્રીવલ્લભ સુતકો ઉઠતહી રસના લીજીયે નામ.  
     
ઇત્યાદિ પદ ગાઈને શ્રીનવનીત પ્રિયજી દર્શન કર્યા. દર્શન કર્તાની સાથે ભગવલ્લીલાની સ્ફૂર્તિ થઈ ત્યારે પલનાનું પદ ગાયું.

બાળગોપાલ લલનકાં મોદ ભરી યશુમતી હુલરાવત. ઇત્યાદિ ભગવલ્લીલા સંબંધી ઘણાંજ પદ નવાં બનાવીને ગયા. આ નંદદાસજી ઉપર શ્રીગુંસાઈજીએ એવી કૃપા કરી. આથી સર્વ સ્થળેથી એમનું મન ખેંચાઈને શ્રીઠાકોરજીમાં વળ્યું. જે ક્ષત્રીની વહુ જેમાં નંદદાસજીનું મન લાગ્યું હતું તે પાંચ સાત વખત નંદદાસજીને રસ્તામાં દેખતી પણ નંદદાસજી તેના સામું જોતાં નહીં. આવી રીતે શ્રીગુંસાઈજીની કૃપાથી તેમના મનનો નિરોધ થયો. એમના ભાગ્યની બડાઈ કેટલી કહીએ.

પ્રંસંગ 2 :- ત્યાર પછી શ્રીગુંસાઈજી શ્રીજીદ્વાર પધાર્યા. નંદદાસને આજ્ઞા કરીને સાથે લીધા. નંદદાસજીએ જઈને શ્રીગોવર્ધનનાથજીના દર્શન કર્યા. તો સાક્ષાત કોટિકંદર્પ લાવણ્યપૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. આ દર્શન કરીને નંદદાસજી બહુજ પ્રસન્ન થયા. અને નંદદાસને કિશોરલીલાની  સ્ફૂર્તિ થઈ તે વખતે ઉત્થાપનનો વખત હતો તેથી શ્રીગુંસાઈજીની આજ્ઞા મેળવીને આ પદ ગાયું. તે પદ 


સોહત સુરંગ દુરંગી પાગ કુરંગ લલના ભાગ્ય માને.
ફરીથી સંધ્યા આરતી વખતે દર્શન કર્યા. ત્યારે આ પદ ગાયું.

1. બનતે સખન સંગ ગાયનકે પાછે પાછે આવત મોહનલાલ કન્હાઇ.
2. બનતે આવત ગાવત ગોરી.
3. દેખ સખી હરિકો વંદન સરોજ.
4. ઘર નંદ મહરકે મિસહી મિસ આવત ગોકુળકી નારી.

આ રીતમાં નંદદાસજીએ ઘણાં પદ ગાયાં. આ નંદદાસજી કોઈ દિવસ શ્રીગિરિરાજ રહેતા અને કોઈ દિવસ શ્રીગોકુળમાં આવતા. જેમ માણસ ને ઉલ્ટી જોઈને ખરાબ લાગે તેમ સંસાર તેમને ફિક્કો લાગતો હતો. તેથી તે બીજે કોઈ પણ ઠેકાણે જતા નહોતાં, શ્રીમહાપ્રભુજી, શ્રીગુંસાઈજી, શ્રીગિરિરાજ્જી, શ્રીયમુનાજી અને શ્રીવ્રજભૂમિ ના સ્વરૂપ વિચાર્યા કરતા. પ્રભુના બીજા અવતાર પર્યત કોઈ ઠેકાણે એમનું મન લાગ્યું નહોતું. તેથી તેમણે શ્રી સ્વામિનીજીના સ્વરૂપ વર્ણનમાં કહ્યું છે.

" ચાલીયે કુંવર કાં સખી ભેખ કીજે " આ પદમાં કહ્યું છે કે:- શિવમોહે જીન વે મોહિની જે કોઈ , પ્યારી કે પાયન આજ આન પરે સોઈ. એવી એમની દ્રષ્ટિ ઉંચી હતી.

પ્રસંગ 6:- નંદદાસજી વ્રજ  કંઈ પણ જતા નહોતા. તેમના મોટાભાઈ તુલસીદાસજી કાશીમાં રહેતા હતા. તેમણે સાંભળ્યું કે નંદદાસજી શ્રીગુસાંઇજીના સેવક થયા છે. ત્યારે તેમણે વિચાર્યું કર્યો કે નંદદાસજીએ પતિવ્રતા નો ધર્મ છોડી દીધો છે કારણકે આપણા પતિ તો શ્રીરામચંદ્રજી હતા. આમ વિચારીને તુલસીદાસજીએ નંદદાસજીને પત્ર લખ્યો. તમે પતિવ્રતા ધર્મનો ત્યાગ કરીને શા માટે કૃષ્ણની ઉપાસના કરો છો ? આ પત્ર જયારે નંદદાસજી પાસે પહોંચ્યો ત્યારે તેમણે વાંચીને આ ઉત્તર લખ્યો "રામચંદ્રજી તો એક પત્નીવ્રતા હતા. તો બીજા પત્નીને કેવી રીતે સંભાળી  શકે ? એક પત્ની બરાબર સંભાળી શક્યા નહીં, તેથી રાવણ હરિ ગયો. શ્રીકૃષ્ણ તો અનંત અબળાના પતિ છે.  એમની પત્ની થયા પછીથી કોઈ પ્રકારનો ભય નથી. એક કાલાવચ્છિન્ન અનંત પત્નીને સુખ આપે છે. તેથી મેં શ્રીંકૃષ્ણને પતિ કર્યા છે. એમ જાણો " આ પત્ર નંદદાસજીએ લખ્યો. જયારે તુલસીદાસજીને પત્ર પહોંચ્યો ત્યારે વાંચીને તેમણે વિચાર કર્યો કે " નંદદાસજીનું મન ત્યાં લાગ્યું છે. તેથી હમણાં તે આવશે નહીં. એનો ટેક મારાથી અધીક છે. હું તો અયોધ્યા છોડીને કાશીમાં રહું પણ નંદદાસજી તો વ્રજ છોડીને કોઈપણ સ્થળે જતા નથી. એમનો ટેક અમારા કરતાં પણ અધિક છે. આ નંદદાસજી એવા કૃપાપાત્ર ભગવદીય હતા. 

પ્રસંગ 4:- એક દિવસ નંદદાસજીના મનમાં એવું આવ્યું. " તુલસીદાસે  જેમ રામાયણ કર્યું છે તેમ હું પણ શ્રીમદ્દભાગવત કરુ. " આ વાત બ્રાહ્મણ લોકોએ સાંભળી. તેઓ બધા મળીને શ્રીગુંસાઈજી પાસે ગયા. અને વિનંતી કરી. " જો શ્રીમદ્ભાગવત થશે તો અમારી આજીવિકાનાં સાધન જતા રહેશે. " ત્યારે શ્રીગુંસાઈજીએ નંદદાસજીને આજ્ઞા કરી " તમે શ્રીમદ્ભાગવત કરશો નહીં. અને બ્રાહ્મણ લોકોના ક્લેશમાં પડશો નહીં. બ્રહ્મ ક્લેશ સારો નથી. કીર્તન કરી વ્રજલીલા ગાઓ. " નંદદાસજીએ શ્રીગુસાંઇજીની આજ્ઞા માની શ્રીમદ્ભાગવત ન કર્યું. આવો શ્રીગુંસાઈજીની આજ્ઞા માં તેમને વિશ્વાસ હતો. એવા પરમ કૃપાપાત્ર ભગવદ્દીય હતાં.  

પ્રસંગ 5 :- નંદદાસજીના મોટાભાઈ તુલસીદાસજી કાશીથી તેમને મળવાને વ્રજમાં આવ્યા. મથુરામાં આવીને તેમણે યમુનાજીના દર્શન કર્યા પછીથી નંદદાસજીની ખબર કાઢી અને શ્રી ગિરિરાજજી ગયા. ત્યાં તુલસીદાસજી નંદદાસજીને મળ્યા. તુલસીદાસજીએ નંદદાસજીને કહ્યું " તમે મારી સાથે ચાલો, ગામ ઋચેતો અયોધ્યા માં રહેજો. પુરી ઋચેતો કાશીમાં રહેજો. પર્વત ઋચેતો ચિત્રકૂટમાં રહેજો. વન રુચે તો દંડકારણ્ય માં રહેજો. આવાં મોટાં મોટાં ધામ શ્રી રામચંદ્રજીએ પવિત્ર કર્યા છે. ત્યારે નંદદાસજી એ એનો ઉત્તર દેવાનો નીચે પ્રમાણે એક પદ ગાયું છે. 

જો ગિરી રુચે તો વસો શ્રીગોવર્ધન, ગામ રુચે તો વસો નંદગામ;
નગર રુચે તો વસો શ્રીમધુપુરી, શોભા સાગર અતિ અભિરામ. 1
સરિતા રુચે તો વસો શ્રીયમુના તટ, સકલ મનોરથ પૂરણ કામ;
નંદદાસ કાનન રુચે તો વસો ભૂમિ વૃંદાવન ધામ. 2


આ પદ સાંભળીને તુલસીદાસજી બોલ્યા " કે એવું તે ક્યુ પાપ છે જે શ્રી રામચંદ્રજીના નામથી પાપ ન જાય ? તો તમે શ્રી રામચંદ્રજીને ભજો." નંદદાસજીએ એક કીર્તનમાં ઉત્તર દીધો. તે કીર્તન.

કૃષ્ણ નામ જબતેં મેઁ શ્રવણ સુન્યોરી આલી, ભલીરી ભવન હોતો બાવરી ભઇરી.
ભર ભર આવે નયના ચિત્ત હું ન પરે ચૈના, મુખ હું ન આવે બૈના તનકી દશા કછુ ઔર ભઇરી. 1
જેતેક નેમ ધર્મ વ્રત કિનેરીમૈં બહુ વિધ, અંગો અંગ ભઈ હોતો શ્રવણ મઇરી.
નંદદાસ પ્રભુ જાકે શ્રવણ સુને યહગતી, માધુરી મુરત કે ધૌકૈસીદઇરી. 2

આ પદ સાંભળીને તુલસીદાસજી ચૂપ થઈ ગયા. પછીથી નંદદાસજી શ્રીનાથજીના દર્શન કરવાને ગયા. તુલસીદાસજી પણ તેમની પાછળ પાછળ ગયા. જયારે શ્રીગોવર્ધનાથજીના દર્શન  કર્યા ત્યારે તુલસીદાસજીએ  માથું નમાવ્યું નહીં. નંદદાસજીએ આ વાત જાણી. "કે એ  રામચંદ્રજી વગર બુજા કોઈને નમતા નથી." નંદદાસજીએ વિચાર કર્યો " અહીંયા તથા  શ્રી ગોકુળમાં એમને શ્રીરામચંદ્રજીના દર્શન કરાવીશ. ત્યારે એ શ્રી કૃષ્ણનો પ્રભાવ જાણશે. પછીથી નંદદાસજીએ શ્રીગોવર્ધનનાથજીને વિનંતી કરી.


દોહા.  આજકી શોભા કહા કહું ભલે બિરાજે નાથ. 
           તુલસી મસ્તક તબ નમે ધનુષ બાણ લેઓ હાથ.

આ વાત સાંભળીને શ્રીનાથજીએ શ્રી ગુસાંઇજીની કાનિથી વિચાર કર્યો. " શ્રીગુસાંઇજીનો સેવક જે કહે છે તે મારે માનવું જોઈએ. પછીથી શ્રીગોવર્ધનનાથજીએ શ્રીરામચન્દ્રજીનું રૂપ ધરી તુલસીદાસજીને દર્શન આપ્યા. પછીથી તુલસીદાજીએ શ્રી ગોવર્ધનનાથજીએ સાષ્ટાંગ દંડવત કર્યા. અને દર્શન કરીને બહાર આવ્યા. નંદદાસજીએ શ્રીગુસાંઇજીના દર્શન કર્યા સાષ્ટાંગ દંડવત કર્યા. તુલસીદાસજીએ દંડવત કર્યા નહીં. નંદદાસજીને તુલસીદાસજીએ કહ્યું " જેવાં દર્શન તમે ત્યાં કરાવ્યા તેવાં અહીંયા કરવો, " એટલે નંદદાસજીએ શ્રીગુસાંઇજીને વિનંતી કરી " આ મારા ભાઈ તુલસીદાસજી છે, શ્રીરામચંદ્રજી વગર બીજાને નમતા નથી. ત્યારે શ્રીગુસાંઇજીએ કહ્યું " તુલસીદાજી બેસો. તે વખતે શ્રીગુસાંઇજીના પાંચમા લાલજી શ્રીરઘુનાથજી ત્યાં ઉભા હતા. એ દિવસોમા શ્રીરઘુનાથજીનો વિવાહ થયો હતો. શ્રીગુસાંઇજીએ કહ્યું "રઘુનાથજી તમારા સેવક આવ્યા છે. એમને દર્શન કરવો " એટલે શ્રી રઘુનાથજી તથા શ્રીજાનકી વહુજીએ શ્રીરામચંદ્રજી અને શ્રીજાનકીજીના સ્વરૂપ ધારણ કરીને દર્શન કરાવડાવ્યા, સાક્ષાત દર્શન થયા. તુલસીદાસજીએ સાષ્ટાંગ દંડવત કર્યા. તેથીજ શ્રીદ્વારકેશજી મહારાજે પુરુષમાં ગયું છે. 


હેતુ નિજ અભિમાન પ્રગટે તાત આજ્ઞા  માનકે.   

તુલસીદાસજી દર્શન કરીને ઘણાજ પ્રસન્ન થયા. અને આ પદ ગાયું.


વન્દો અવધ ગોકુલ ગામ.

આપદ ગાઈને તુલસીદાસજી વિદાય થયા અને પોતાના દેશ ગયા. આ નંદદાસજી શ્રીગુંસાઈજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. કે એમના કહેવાથી શ્રી ગોવર્ધનનાથજી તથા શ્રીરઘુનાથજીને  શ્રીરામચંદ્રજી નું સ્વરૂપ  ધારણ કરીને દર્શન દેવાં પડ્યા. તેમની વાર્તા કેટલીક લખીયે. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 4 થા. 


(સાર) - જેવી રીતે સૂરદાસજીને પ્રથમ અવસ્થમાં પુષ્ટિલીલાનો અનુભવ નહીં હતો, ત્યારે મર્યાદાના પદ કરીને ગાતા હતા, પણ જયારે ભગવાનનું શરણ થયું ત્યારે પુષ્ટિલીલાનો સંબંધ થયો અને પુષ્ટિલીલાના પદ વર્ણન કર્યા, તેવી રીતે નંદદાસજીએ શ્રીગુસાંઇજીને શરણ આવ્યા ત્યાર પછીથી પુષ્ટિલીલાના પદ  વર્ણન કર્યા. પ્રથમ અવસ્થામાં એ મર્યાદામાર્ગીય ભક્ત હતા. તેથી પંચાધ્યાયી વગેરેમાં શુક્રદેવજીને વંદન કર્યું છે. (2) દૈવીજીવને સ્ત્રી આદિકમાં આસક્તિ રહેવાનું કારણ એ છે કે જો વિષયાદિક અગર મોહાદિક થી ચિત્ત વિરક્ત થઈ એક સ્ત્રી રૂપમાં આસક્તિ થાય તો તેને ઝટ પ્રભુ પોતાનો જાણીને તેના ચિત્તને પોતાના તરફ ખેંચીને નિરોધ સિદ્ધ કરે છે. (3) ગુરુ કૃપા કરીને જેનો હાથ ઝાલે છે તે ગમે તેવો અપરાધી તથા દોષ નો ભરેલો હોય તો પણ તેની ચિત્તવૃત્તિઓ પવિત્ર બને છે અને ભગવત્સેવાનો અધિકારી બને છે.(4) આ માર્ગ માં અનુરાગ એ મુખ્ય વસ્તુ છે. ગમે તેવો અનુરાગ હોય, ભલેને લૌકિકમાંથી ખેંચાઈને પ્રભુ તરફ વળે છે અને તે જીવને પૂર્ણ સુખ મળે છે. શુષ્ક હૃદયવાળાનું આ માર્ગમાં કામ નથી. રસિકજનજ આ માર્ગનું સુખ મેળવી શકે છે. (5) બ્રહ્મસંબંધ કર્યા પછીથી સર્વ પ્રકારના દોષની નિર્વુત્તિ થાય છે. સહજ, દેશ કાલથી ઉત્તપન્ન થતા, લોક, વેદમાં નિરૂપાયલા,સંયોગથી ઉત્તપન્ન થતા અને સ્પર્શથી બનતા એ સર્વ દોષની નિર્વુત્તિ બને છે. " શ્રી સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. ब्रह्मसंबंधकरणात्सर्वेषां देहजीवयो: सर्वदोषनिवुत्तिही. (6) ભગવદીયમા અમુક પ્રકારનો ટેક જોઈએ. (7) જોકે રામ પણ ભગવાનનો અવતાર છે. છતાં નંદદાસજીની કૃષ્ણના સ્વરૂપમાં આસક્તિ હતી. તેજ ખરેખરો અનન્ય ભાવ અને ટેક. કોઈપણ એક સ્વરૂપમાં જો આસક્તિ રહેતો તેને તે સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. ભગવદગીતામાં પણ કહ્યું છે-यो यो यां यां तनुभक्त:श्रद्धयाची तुमिच्छति। तस्य तस्याचला श्रध्दा तामेव विद्द्याम्यह । જે જે સ્વરૂપને જે ભક્ત શ્રદ્ધાથી અર્ચન કરવા ઈચ્છે તો તેની તેમાં અચલ શ્રદ્ધાને હું કરું છું.  

                           -----------------------------------------------

આ નંદદાસજીનું બનાવેલું ભ્રમરગીત અમારા તરફથી પ્રકટ થયેલા "વિવિધ ધોળ તથા પદસંગ્રહ ભાગ 2 જા' માં છે. તેથી પ્રથમ લીટીઓ નીચે પ્રમાણે છે. 

શ્રીમદ્ભાગવત રચના સંબંધી અન્યત્ર નીચેની હકીકત ઉપલબ્ધ થાય છે. "નંદદાસજીએ દશમસ્કંધ ભાગવતની લીલાને છંદમાં કરી હતી. પણ મથુરાના બ્રાહ્મણોએશ્રીગુસાંઇજીને વિનંતી કરીકે આનાથી અમારી આજીવિકા ઓછી થઈ જશે. આથી નંદદાસજીએ શ્રીગુસાંઇજીની આજ્ઞાથી પંચધ્યાયી રાખી બાકીના બીજા ગ્રંથો શ્રીયમુનાજીમાં પધરાવી દીધા. ફરીથી એક વખતે તાનસેને નંદદાસજીએ બનાવેલા "દેખો દેખારી નાગરનટ નર્તત કાલિન્દીકે તટ " એ પદની બે ટૂંકો અકબર બાદશાહ ની આગળ ગાઈ. ત્યારે બાદશાહે બીરબલને કહ્યું કે આ પદના બનાવનાર ને બોલાવો, એના મોઢેથી સાંભળવું છે. " બીરબલ આથી ગિરિરાજ આવ્યા. નંદદાસજીને લગ્યા અને અકબરે નંદદાસને ઘણું સન્માન આપ્યું અને પૂછ્યું "તમે આ પદ કહ્યું કે" નંદદાસ ગાવે તહાં નિપટ નિકટ " તો કેવી રીતે "નિકટ" ગયા. કે જેથી તમે રાસના પદમાં ગાયું ? "ત્યારે નંદદાસજીએ કહ્યું " મારા કહ્યામાં તમને વિશ્વાસ ના હોય તો તમારા તંબુમાં આપની અમુક કન્યા છે તેને પૂછો. બાદશાહે તંબુમાં જઈને તેને પૂછ્યું. એ કન્યા વૈષ્ણવ હતી. શ્રીનાથજી એને દર્શન દેતાં હતાં. નંદદાસજીનો આ કન્યા સાથે સ્નેહ હતો. નંદદાસજીને લીલા ના દર્શન થતાં હતા તે એ જાણતી હતી. આ કન્યા આ વાત સાંભળીને મૂર્છા ખાઈ પડી અને દેહ છોડી દીધો. એટલામાં બાદશાહ નંદદાસ પાસે દોડી આવ્યા અને જોયું તો નંદદાસજીની  પણ દેહ છૂટી ગઈ અને ભગવલ્લીમાં પ્રાપ્તિ થઈ. ત્યારે બાદશાહે બીરબલને પૂછ્યું " આબન્ને જણાઓએ શા માટે દેહનો ત્યાગ કર્યો ? ત્યારે બીરબલે કહ્યું " એમણે આપનો ધર્મ રાખ્યો કારણકે જે વાત તમે પૂછી, તે કહેવાય એવી નથી. તેમ દેખાડી શક્યા પણ નહીં. તે ઘણી અલૌકિક વાત છે. 

યુદ્ધોકો ઉપદેશ સુનો વ્રજ નાગરી, રુપશીલ લાવન્ય સબેગુણ આગરી;
પ્રેમ ધ્વજા રસ રૂપની ઉપજાવન સુખ પુંજ, સુંદર શ્યામ વિલાસની વૃંદાવન નવકુંજ.

અષ્ટસખાના ધોળમાં નંદદાસજી વિષે નીચેનું ધોળ છે.


નંદદાસ આનંદ સદા મનમાં ઘણું, બાળપણાંમાં વિદ્યા તે બહુ ભણીઆ જો; 

વળતી સ્વરૂપાસકતી કરીને તેડીઆ, શ્રી ગોકુળમાં આવીને અનુસરીઆ જો. 1 
ત્યારે કૃપા કરી શ્રીવિઠ્ઠલનાથજી, શરણ લઈને પોતે સન્મુખ કીધો જો;
નિજ લીલા દર્શાવી તે દયા કરી, વળતી ભક્તિ રસ ભાવ કરીને પીધો જો. 2
ભાઈ પોતાના હેત જાણીને ત્યાંહા આવીયા, તેના સામું જોયું નહીં લગાર જો; 
કહેવું નોધારું તે કાગળમાં લખ્યું, શ્રીકૃષ્ણ પૂર્વ સમર્થ તે અવતાર જો. 3
ભાષ્ય કર્યું શ્રીદશમસ્કંધ નિરોધનું, પુરાણીએ આવી કર્યો પોકાર જો;
પ્રભુ આજ્ઞા પ્રમાણે તેટલું રાખીયું, બીજું સરવે પધરાવ્યું શ્રીયમુના ધારા જો. 4 
એવા સદા સખા શ્રીનંદકુમારના, પ્રગટ્યા આવી શ્રીપુરુષોત્તમ સાથે જો; 
એમના ગુણને શા શા કહી સંભારીએ, વલ્લભદાસના સ્વામી શ્રીવલ્લભનાથ જો. 5 
______________________________________________________






    

   
  


  


   
    

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1